નાની નાની વાતો
નાની નાની વાતો
આપણે જાણીએ જ છીએ કે ગુજરાતી ભાષામાં એક શબ્દોનાં અનેક અર્થ થતા હોય છે. આ શબ્દો જ ઘણીવાર એવા તીરની જેમ ઘા કરી જાય છે કે એ ઘા આખી જિંદગી નથી ભરાતાં.
આપણા વડીલો પણ હંમેશાં એમજ કહેતાં આવ્યા છે કે તલવારનો ઘા તો સમય જતાં ભરાઈ જાય છે પણ જીભથી નીકળેલા તીરથી પણ વધારે તેજ ધારવાળી નાની નાની વાતોના ઘા આખી ઉંમર નથી ભરાતા.
એક પંડિતજીના દીકરાનાં ધામધુમથી લગ્ન થયા. નવી નવેલી વહુને ઘરે લાવ્યા અને ચારેતરફ ખુશીનો માહોલ હતો. નવી વહુના સ્વાગતના બધાજ રીતરિવાજો પૂરા થયા. એની આસપાસ કુટુંબની દીકરીઓ અને મહિલાઓ બેઠી હતી. પંડિતજીએ એ બધાને કહ્યું કે તમે બધા બીજા રૂમમાં બેસો જેથી બિચારી વહુ થોડો આરામ કરી શકે. એ લોકો ઊભા ના થયા બે થી ત્રણ વાર પંડિતજીએ નવી વહુને બિચારી કહીને સંબોધી.
હવે અમીર ઘરની અંગ્રેજી સ્કૂલમાં ભણેલી – ગણેલી અને વિદેશી કંપનીમાં ઊંચા પદ પર કાર્યરત નવી વહુએ બધી જ મર્યાદા તોડીને બિચારી શબ્દ પર આપત્તિ જતાવીને બધા જ સગા સંબંધીઓની સામે જ એનાં સીધાસાદા સસરાને મોટા અવાજે કહી દીધું કે હું તમને કઈ તરફથી બિચારી લાગું છું ? શું હું તમને અભ્યાસથી, પહેરવેશથી કોઇ ગરીબ અને લાચાર પરિવારની છોકરી લાગું છું ? શું મારા દહેજમાં કોઈ કમી દેખાય છે ? જો ના તો પછી તમે બધાની સામે મને નીચી દેખાડવા માટે વારંવાર આ બિચારી શબ્દ કેમ વાપરો છો ?
નવી વહુના જીભેથી નીકળેલા શબ્દો પંડિતજીને કાંટાની જેમ વાગતા હતા. એમને પહેલીવાર ભણેલી ગણેલી વહુને લાવવાનો અફસોસ થતો હતો. એતો એમજ સમજતાં હતા કે ભણીગણી લેવાથી માણસ વિદ્વાન બને છે. પણ પહેલી વાર એમને લાગ્યું કે શિક્ષણમાં જ્યાં સુધી નૈતિકતાનો સમાવેશ નથી થતો ત્યાં સુધી શિક્ષાનું લક્ષ્ય પૂરું થતું નથી.
પંડિતજીની પત્નીએ એક જ વાત કહી કે આપણી વાણી જ આપણાં મિત્ર કે દુશ્મન બનાવે છે માટે હંમેશાં મીઠું બોલવું એમાં એક પૈસાનો ખર્ચ નથી થતો પણ દરેક તરફથી માન સન્માન હંમેશાં મળતું રહેશે. કડવાં વેણ બોલશો તો અપમાન સિવાય કાંઈ જ નહીં મળે.