આઝાદ ભારતનું સ્વપ્ન
આઝાદ ભારતનું સ્વપ્ન
આઝાદીનો શંખનાદ થઈ ચૂક્યો હતો. ગામેગામ ભારત છોડો આંદોલન સક્રિય બની ગયું હતું. મારા મનમાં મથામણ ચાલી રહી હતી, શું દેશને આઝાદી મળી જશે. હું દેશની આઝાદી માટે શું કરી શકીશ ? મારે આઝાદીની ચળવળમાં ભાગ લેવો જ છે.
દાદાજી તમે આઝાદીની ચળવળમાં જોડાયા હતા ! હા, દીકરા સાંભળ ...
' કરો યા મરો' સૂત્ર ગાંધીજીએ આપી આહવાન કર્યું હતું કે આપણે ભારતને આઝાદી અપાવીશું કે પછી આ પ્રયાસમાં બલિદાન આપીશું, પરંતુ નિરંતર ગુલામી જોવા માટે જીવિત રહીશું નહીં.
આ આહવાન સાંભળી ગામે ગામથી નવયુવાનો આઝાદીની લડતમાં ભાગ લેવા નીકળી પડ્યા હતા. એક છેવાડું ગામ, તે ગામના બે ભાઈઓ કનુ અને મનુ તેમના પિતાજી પાસે આઝાદીની લડતમાં જોડાવાની પરવાનગી લેવા ગયા, તેમના પિતાજીએ કહ્યું બેટા 'દેશની આઝાદીની લડાઈ માટે જઈ રહ્યા છો' તે તો અમારા માટે ગર્વની વાત છે તમે ખુશી ખુશી જાવ. પણ તેમની માતા તેમની આગળ 'ખોળો પાથરી રડ્યા' બેટા બધા લોકો વાતો કરે છે કે જે આંદોલનમાં ભાગ લેવા જાય છે, એને તો જેલ ભેગા કરે છે, બહુ મારે છે, ખાવાનું એ આપતા નથી.
માતાનું હૃદય હતું, દીકરાઓ માટે વલોવાઈ રહ્યું હતું.
મા ! અમે આપણી 'મા ભોમને છોડાવવા માટે જઈએ છીએ'
જો તને કોઈ બંધન પાશમાં બાંધી લે, અને અમે બે ભાઈઓ તને છોડાવવાના ના આવીએ તો તને કેવું લાગે ! અને અમને કેટલી અકળામણ થાય.
તેમ આપણી ભારતમાતા બ્રિટિશરોની જંજીરોમાં જકડાઈ છે, તેને કેટલી વેદના થતી હશે ! અમે તેના સપૂતો છીએ, મા ! "ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી છોડાવવા માટે અમારે બલિદાન આપવું પડશે તો પણ પાછી પાની નહી કરીએ"
તેમની મા ચોધાર આંસુએ રડી પડ્યા. દીકરા મને તમારા ઉપર ગર્વ છે. પણ દીકરા સવારે જાઓ તો ના, ચાલે ?
ના, મા અમે તો આ ફાનસના અજવાળે નીકળી જઈશું સવાર પડવાની રાહ ના જોવાય, બાજુના ત્રણ ગામ છોડીને કાલે સવારે બાપુની સભા છે. અમે ત્યાં પહોંચી જઈએ તો આઝાદીની ચળવળમાં જોડાઈ શકીએ.
દીકરા થોડીવાર ઊભા રહો, તેઓ ઘરની અંદર ગયા, થોડીકવાર પછી પાછા આવ્યા. બેટા આ આંદોલનમાં અમે તો ભાગ નહી લઈ શકીએ, પણ અમારાથી બનતી કોશિશ જરૂર કરીશું. આ પોટલીમાં 'મારા દાગીના' છે. બાપુના ચરણોમાં ભેટ સ્વરૂપે ધરી દેજો. જાઓ" મારા આશિષ છે ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાંથી છોડાવજો"
બે ભાઈઓ ભારત માતાને આઝાદ કરાવવા નીકળી પડયાં, મા ભોમના જયઘોષ સાથે ગામના તેમના ખાસ મિત્ર મણીલાલ અને બીજા બે-ચાર મિત્રો પણ જોડાયા.
સવાર થતાં આંદોલન સભાના સ્થળે પહોંચી ગયા. જનમેદની ઉમટી પડી હતી, ભારત માતાને આઝાદી અપાવવામાં સ્ત્રીઓ એ પણ પાછીપાની નહોતી કરી સ્ત્રી સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ હતી, જે પુરુષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરતી હતી.
તે બે ભાઈઓ તેમના મિત્રો સાથે બાપુની સાથે ચળવળમાં જોડાઈ ગયાં. ને આઝાદીના રંગે રંગાઈ ગયા.
તેમની ચળવળ આગળ વધતી જતી હતી, કેટલાયે સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ થઈ તેમાં બે ભાઈઓ અને તેમના મિત્રની પણ ધરપકડ થઈ, તેઓ જેલમાં ગયા. કેટલાય જુલમો. સહન કર્યા. પણ આ તો દેશ ભક્તિનો અનોખો રંગ લાગ્યો હતો.
આખરે બ્રિટિશ સરકારે ગાંધીબાપુના અહિંસક આંદોલન સામે ઝૂકવું પડયું. આપણા દેશ ભારત ને સ્વતંત્રતા આપવાની જાહેરાત થઈ, દેશ ૧૫મી ઓગસ્ટના દિવસે આઝાદ થયો..
આખો દેશ એની ખુશાલી મનાવતો હતો.
"આઝાદી જિંદાબાદ" ના નારાથી એ રાત ગુંજી ઊઠી હતી.
"અમારા મનમાં ઉઠેલી એક મથામણે અમને સ્વતંત્ર સેનાની બની ગયા"
દાદાજી પછી તમે શું કર્યુ ?
ઘણા મા બાપને દીકરા દીકરીઓ વર્ષો પછી પાછા મળ્યા હતા, એની એ ખુશી હતી.
કનુ અને મનુ તેમના મિત્ર સાથે ખુશી ખુશી ગામ પાછા ફર્યા, તેમનું ગામમાં સ્વાગત કરવામાં આવ્યું. ભવ્ય સામૈયું થયું.
તેમના મિત્ર મણિલાલ ગૃહસ્થી સંભાળી અમદાવાદની મીલમાં જોડાઈ ગયા.
પણ કનુ અને મનુ તો આટલી સેવા થી ના રોકાયા, તે દેશની સેવા માટે સૈનિકમાં ભરતી થવા તૈયાર થઈ ગયા. તેમના પિતા અચાનક બીમાર થઈ ગયા મનુ એ કહ્યું ભાઈ તમે ઘરે રહીને આપણા માબાપની સેવા કરો હું માભોમની રક્ષા કાજે જઈશ.
જો ભાઈ આપણા માતા-પિતાને સેવા ની પણ જરૂર છે.
મનુ તો દેશની સેવા કરવા અને દેશની રક્ષા કરવા સૈનિકની ભરતીમાં જોડાઈ ગયો.
કનુ ના લગ્ન કરવામાં આવ્યા. પણ દેશની સેવા અને દેશભક્તિ ઘરે રહીને પણ કરી શકાય. એવી સંકલ્પના કનુ એ તેની પત્ની સાથે કરી.
તેની પત્ની શીલા ગાંધીબાપુના રંગે રંગાયેલી હતી. તેના બાપુ સત્યાગ્રહમાં જોડાયેલા હતા. શીલા એ પણ અમદાવાદ જ્યારે ચળવળ ચાલેલો, ત્યારે ભાગ લીધેલ હતો. પતિ-પત્ની બંને પોતાના માતા-પિતાની સેવા કરતા અને સાથે સાથે આજુબાજુના ગામમાં સાફ સફાઈ અભિયાન ચલાવતા અંધશ્રદ્ધા દૂર કરવા લોકોને સમજાવતા, ગરીબો ને શક્ય હોય તેટલી મદદ કરતા. તેમની ગૃહસ્થી સરસ ચાલતી હતી.
તેમના મિત્ર મણિલાલ, તેમને મિલમાં જગ્યા છે તું અહીં આવી જા એવું કહ્યું પણ કનુભાઈ ને તો ધરતી વ્હાલી લાગી હતી, તે તો ખેડૂત જ રહ્યા અને આખી જિંદગી દેશ સેવાનું કામ કરી ખાદીના કપડાં પહેર્યા. તેમની પત્નીએ પણ ખાદી જ અપનાવી લીધી, તેમના માતા પિતાની ખૂબ સેવા કરી. તેમના બાળકોને નાનપણથી ગાંધીવિચારો આપ્યા તેમના દીકરા ના દીકરા એટલે કે તેમના પૌત્રો એટલે કે તમને બધા દીકરા ગાંધી વિચારો જ આપ્યા છે. જ્યારે જ્યારે તમને આ દેશભક્તિની વાતો કરું છું, ત્યારે મને પોરસ ચડી જાય છે કે થોડો વખત માટે પણ અમે આ દેશને આઝાદી અપાવવામાં ભાગ
લીધો હતો.
' દાદા આગળ કહોને'
આપણા દેશ માટે જેટલું કરીએ તેટલું ઓછું પડે છે, કદાચ આપણે ભારત માતાનું ઋણ ઉતારી શકીએ ખરા !
બીજું એ પણ થાય છે કે ગાંધીબાપુ અને સ્વાતંત્ર સેનાનીના સ્વપ્નનું ભારત, આપણું આ ભારત છે ખરું !
અંદરથી જે જે જોઈતી હતી સ્વતંત્રતા, તે સ્વતંત્રતા છે ખરી !
દાદાજી ! બાપુ નું અને સ્વાતંત્ર સેનાની ના સ્વપ્નનું ભારત કેવું હતું ?
બેટા એવું સ્વતંત્ર ભારત કે જે સ્વચ્છતાથી ઝળકી ઊઠે, જ્યાં ગામડાઓનો વિકાસ થયો હોય, ખેડૂતોને સન્માન મળે, બેરોજગારી ભ્રષ્ટાચારનું નામોનિશાન ન હોય, ગરીબી ન હોય, નાતજાતના ભેદભાવ ના હોય, અને અંધશ્રદ્ધા વગર નું ભારત.
ભારત એ તો સ્વર્ગ છે અને તે સ્વર્ગનો અનુભવ થાય તેવું ભારત.
દાદા ની આંખમાં ઝળઝળિયા આવી ગયા. બેટા, ભારત રાજકીય રીતે સ્વતંત્ર થયું છે. પણ માનસિક રીતે સ્વતંત્ર થયું છે ખરું ! જ્યારે ભારતમાં માનસિક રીતે સ્વતંત્રતા આવશે ત્યારે જ ખરા અર્થમાં ભારતની આઝાદી ઉજવાશે.
હવે હું તો થોડા દિવસનો મહેમાન રહ્યો પણ તમારે આવા જ ભારતની કલ્પના કરવાની છે. પૌત્ર એ દાદાની આંખમાં આંસુ લુછતા કહ્યું, દાદા તમે ચિંતા ના કરો "અમે તમારી કલ્પનાનું ભારત બનાવીશું"
એક દિવસ એવો આવશે " જ્યારે ભારત પર આખું વિશ્વ ગર્વ કરશે, તેનો વિકાસ પણ થશે, તેની ઉન્નતિ પણ થશે, ભારતમાં કોઈ દૂષણ નહીં રહે અને ભારત એ સ્વર્ગ કહેવાશે" પૌત્રના વિચારો સાંભળી દાદાજી આંખો લૂછતાં બોલ્યા 'હા બેટા એવો દિવસ જરૂર આવશે' જ્યારે નવી પેઢી આવા સ્વતંત્ર ભારતનું સ્વપ્ન જોશે, અને સ્વપ્ન પૂરું કરશે.
દાદાજી લાકડીના ટેકે તેમના પૌત્ર નો હાથ પકડી તેમના રૂમમાં ગયા, આજે જાણે ગાંધી બાપુ તસ્વીરમાંથી તેમની સામે હસી રહ્યા હોય તેવું લાગ્યું.
તેમની આવા સ્વતંત્ર ભારતના સ્વપ્ન સાથે આંખ મીચાઈ ગઈ.