પસ્તાવો
પસ્તાવો
જુઓ પેલો પાગલ આવ્યો.છોકરાઓને સંતાડી દો.
ના...ના..એ પાગલ નથી. પણ બાપડાને આઘાત લાગ્યો એટલે મગજ થોડું ભ્રમિત થઈ ગયું હતું. પેલા પાગલને જોઈને બધા જુદી જુદી વાતો કરવા લાગતા હતા.
એ વખતે એક યુવાન એ પાગલની દશા જોઈને મનોમન પોતાને જવાબદાર ગણતો હતો. એ યુવાન એટલે મનન. એ પૈસાદાર માબાપનો એકનું એક સંતાન. પણ મનન અભિમાની હતો. એને પોતાની આવડત અને બુદ્ધિ માટે અભિમાન હતું.
પેલો પાગલ એટલે જગતસર. ગણિતના હોંશિયાર શિક્ષક. તેમજ મનનની ક્લાસના ક્લાસ ટીચર. જગતસર ઘણી વખત મનનની ભૂલો કાઢતા હતા પણ મનન પોતાની તોછડી ભાષામાં વાત કરતો હતો.
એસ.એસ.સી.ની પરિક્ષા નજીક આવતી હતી. મનને મહેનત કરી પણ અભિમાન પણ વધુ હોવાથી તે ઓવરકોન્ફીડન્સ હતો.
એ વખતે વિજ્ઞાનનું પેપર હતું. મનને ઓછું વાંચ્યું હતું એટલે એણે કાપલીઓ બનાવી રાખી હતી. વિજ્ઞાનના પેપરમાં ક્લાસમાં જગતસર આવ્યા.
જગતસર કડક સ્વભાવના તેમજ ચોરી થવા દેતા નહોતા. છતાં પણ હિંમત કરીને મનને કાપલીઓ કાઢીને લખવા માંડ્યું. જગતસર જોઈ ગયા. એક બે વખત ચેતવણી આપીને કાપલીઓ લઈ લીધી. છતાં મનનની ચોરી કરવાની અને કોપી કરવાની પ્રવૃત્તિ ચાલુ રહેવાથી જગતસરે એનું પેપર જપ્ત કરીને કોપી કેસ કર્યો. ક્લાસમાંથી જતા જતા મનને સરને જોઈ લેવાની ધમકી આપી.
અડધો કલાકમાં આચાર્યએ જગતસરને બોલાવી દીધા તેમની જગ્યાએ બીજા ટીચરને ક્લાસમાં મૂક્યા.
આચાર્ય શ્રી એ જગતસરને સમજાવ્યા. પણ જગતસર માન્યા નહીં. મનનના પિતાજી એ રૂપિયાની લાલચ આપી પણ પ્રમાણિક જગતસર માન્યા નહીં.
બે દિવસ પછી રાત્રે જગતસરના જુના મકાનમાં આગ લાગી ગઈ. એ વખતે જગતસર બહાર ગયા હતા. મકાનને આગ લાગતાં જગતસરની પત્ની અને આઠ વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો. આ જોઈને જગતસરનું મગજ ભ્રમિત થઈ ગયું.
બીજા દિવસથી તેઓની વાણી અને વર્તનમાં પરિવર્તન આવ્યું. એના કારણે બધા તેમને પાગલ માનવા લાગ્યા. મનનને યાદ આવતા આંખમાંથી આંસુ આવી ગયા.
બદલાની ભાવનાથી તેણે અને એના મિત્રએ જગતસરના ઘરને આગ લગાડી હતી. મનનને પસ્તાવો થયો. મારા કારણે એક કુટુંબ ખલાસ થઈ ગયું.