શિક્ષકનું મહત્વ
શિક્ષકનું મહત્વ
” શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ.”
ચાણક્યનું આ વાક્ય શિક્ષકનું ઘણું મહત્વ સમજાવી જાય છે. શિક્ષક એ એક એવી વ્યક્તિ છે જે વિદ્યાર્થી રૂપી એક બગીચાને જુદા જુદા રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ આવે તો પણ એ કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટેની સમજણ આપીને હિંમતથી આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને દરેક પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું અને કેમ જીવવું એનું કારણ સમજાવે છે.
શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે ચાહે અમીર હોય કે ગરીબ. હોંશિયાર હોય કે નબળો. કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર શિક્ષક બધાનું સારું જ ઈચ્છે છે. શિક્ષક વિદ્યાર્થીને સાચાં ખોટાંની અને સારાં-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓનો વિકાસ થાય એ માટે એવી એવી પ્રવૃત્તિઓ કરાવીને એની અંદરની કળાને બહાર લાવીને વિદ્યાર્થીને પોતાની આવડતનો પરિચય કરાવે છે.
આપણા જીવનને યોગ્ય માર્ગે લઈ જવામાં શિક્ષક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા જ્ઞાન, કૌશલ્યો અને આવડતને જાણીને આપણી સફળતામાં સહભાગી અને માર્ગદર્શક બને છે. આપણો આત્મવિશ્વાસ વધારીને, આપણને સફળતાના શિખરો સર કરાવે છે. એકડે એક ઘુંટાવવાથી લઈને જીવનમાં અનેક સંસ્કારોનું સિંચન કરે છે. માત્ર અક્ષરજ્ઞાન જ નહીં પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષક હમેશાં પ્રયત્નશીલ રહે છે. એક ડૉક્ટર, એક વકીલ, એક પ્રોફેસર, એક અધકારી કે એક સફળ ઉધોગપતિના ઘડતરમાં શિક્ષકનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે. દેશના ભાવિ નાગરિકોના સર્જનનો પાયો એક શિક્ષકના હાથમાં છે. એક શિક્ષક જ છે જે હંમેશા પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિથી ખુશ થાય છે. એક એક સફળ વિદ્યાર્થી એમના માટે એક વિશેષ પુરસ્કાર હોય છે. બીજાની સફળતા પર ગર્વ લેવો એ એક શિક્ષક હૃદય જ કરી શકે છે. ભલે પોતે નિવૃત્તિ પછી પણ ગરીબીમાં જીવતો હોય પણ એનાં વિદ્યાર્થીઓની સિદ્ધિઓ એ જ એની અમીરી છે. એનું ગૌરવ છે. ક્યારેક ક્યાંક પોતાના વિદ્યાર્થીનું નામ ઊંચા હોદ્દા પર વાંચી જાય તો ગર્વથી કહે કે, "આ મારો વિદ્યાર્થી છે હોં !"
બસ આ જ છે એક સાચા અને પ્રમાણિક શિક્ષકની ઓળખ.