સંબંધનો રણકાર
સંબંધનો રણકાર
મોહન માસ્તર સ્વભાવે સાલસ, દયાળુ અને પરોપકારી. ભગવાનનું માણસ કહીએ તો પણ ચાલે. ગામનાં લોકો એમનો ખૂબ જ આદર કરતાં. શાળાનાં બાળકોને ઘરે બોલાવી મફત ટયુશન આપતાં.
પત્ની માયાથી આર્થિક સંકળામણ સહન થતી નહીં તેથી હંમેશ ફરિયાદ કરતી,"તમે તો વેદિયાં જ રહ્યાં. પૈસા કમાવતા આવડ્યું જ નહિ. ટયુશનનાં મોં માંગ્યા પૈસા મળે, પણ મારું સાંભળો તો ને. શિક્ષક બનવા કરતાં બીજો કોઈ વ્યવસાય અપનાવ્યો હોત તો આપણો બંગલો હોત." માસ્તર પત્ની સાથે મગજમારી ન કરતાં, સામો જવાબ વાળવાને બદલે આછેરું સ્મિત કરતાં.
કોરોનાનાં કપરા કાળમાં પતિપત્ની મહામારીમાં સપડાયા. ગામનાં લોકો અને આડોશપાડોશનાં સહુ એમની વ્હારે દોડી આવ્યાં. એક પાડોશી તેમના બંને બાળકોને પોતાનાં ઘરે લઈ ગયાં, અને તેમની સારસંભાળ રાખી. ગામનાં બીજા લોકોએ વારાફરતી ટિફિન, ફળફળાદિ, કાઢા, દવાદારુ વગેરે કામ વહેંચી લીધાં. માસ્તર દંપતીને મહામારી ક્યારે આવી ને ક્યારે ગઈ ખબર જ ન પડી.
જીવનમાં પહેલીવાર પત્ની માયાએ શિક્ષકના વ્યવસાય પ્રત્યે માન અનુભવ્યું. માયાને પતિ અને પતિના વ્યવસાયનું મહત્વ સમજાયું. પતિ તરફ અહોભાવની દ્રષ્ટિએ જોઈ કહ્યું,"તમે રૂપિયા નથી કમાવ્યાં પણ સંબંધ કમાવ્યાં છે, અને આ સંબંધનો રણકાર આપણા જીવનમાં ગૂંજી ઊઠ્યો છે જે રૂપિયાના રણકારથી અનેકગણો સૂરીલો છે."
મોહન માસ્તરે દર વખતની જેમ આછેરું સ્મિત કર્યું.