મોક્ષ એટલે શું
મોક્ષ એટલે શું
મોક્ષ વિશે બહુ લખાયું છે. પણ આ મોક્ષ એટલે શું ? મોક્ષ કેવી રીતે મેળવી શકાય ?
વિગેરે સવાલો માનવી ના મન ને મૂંઝવે છે.
મોક્ષની પ્રાપ્તિ વિશે લખવું એટલે મારા માટે તો ઘુવડને સૂરજ વિશે ના અભિપ્રાયો પૂછવા જેવું છે, મોક્ષ આત્મા આ બધી આધ્યત્મિક બાબતોને બુદ્ધિથી ના વિચારી શકાય ,કેમ કે આ બધી બાબતો બુદ્ધિ થી પર છે. જ્યારે અક્કલ હદ આવે ત્યારે શ્રદ્ધાની શરૂઆત થાય. અમુક વાતો ને શ્રદ્ધા થી જ સ્વીકારવી પડે.
મોક્ષ એટલે મુક્તિ. જન્મ મરણ ના ચક્ર ના રહે. જન્મ મરણ ના ફેરા ટાળવા તે મોક્ષ.
મોક્ષની બીજો અર્થ થાય છે. મોહનો ક્ષય અર્થાત્ મદ મોહ લોભ ઈર્ષ્યા અદેખાઈ વિગેરે વિકારોનો નાશ અને જીવનો શિવ સાથેનો નાતો મજબૂત બને.
મોક્ષ પ્રાપ્ત કરવું એટલે દુનિયા છોડી સાધુ બની જવું એવો અર્થ નથી. પરંતુ દુનિયા માં રહી બધી ફરજો અદા કરી ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું છે. જેમ એક હોડી ને તરવા પાણી જોઈશે. પણ એજ પાણી જ્યારે હોડીમાં ભરાય ત્યારે હોડી ડૂબી જાય છે. દુનિયામાં એવી રીતે રહેવાનું છે જેમ હોડી પાણીમાં રહે છે એમ.
આપણે જ્યારે કોઈ પાત્રમાં દૂધ લઈએ છીએ ત્યારે આપણે એ પાત્રને ખૂબ સારી રીતે સાફ કરીએ છીએ. કારણ કે દૂધ પવિત્ર છે એટલે એના માટે પાત્ર પણ પવિત્ર જોઈશે. એવી રીતે ઈશ્વર સ્મરણ પણ પવિત્ર છે એના માટે પણ મન અને હદય સાફ હોવા જોઈએ.
દુનિયા માં રહી ને દુનિયા થી અલિપ્ત રહેવાનું ,જેમ કમળ પાણી માં રહે છે પણ પાણી નાં બુંદો કમળની પાંખડી પર નાખવામાં આવે તો એ સરી જાય છે. દુનિયા એ પ્લેટફોર્મ છે જ્યાં સુકર્મ રૂપી સીડી થકી ઈશ્વર સુધી પહોંચી શકાય.
પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા ,કોઈ દુઃખી ને મદદ કરવા માટે લંબાયેલો હાથ, ખૂબ મહત્વ નો છે. આપણે ઈશ્વર તરફથી આવ્યા છીયે. અને એના તરફ જ પાછું ફરવાનું છે.
હું એક ઉદાહરણ દ્વારા સમજાવવાની કોશિશ કરીશ. ઈશ્વર એક સાગર મિસાલ છે. અને હર એક માનવી વર્ષાના એક બુંદ મિસાલ છે. કોઈ ટીપુ છીપમાં જઈ મોતી બને છે. કોઈ ઝરણામાં જઈ પડે છે કોઈ સરોવરમાં કોઈ સરિતામાં જઈ સાગરમાં ભળે છે. તો કોઈ ધૂળમાં મળી પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. આમ એ શું બનવું એ માનવી ના પોતાના પર છે. કેમ કે માનવી ને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપવામાં આવી છે. જે પ્રકૃતિમાં કોઈ સર્જનને આપવામાં નથી આવી.
ક્યારેય સાંભળ્યું છે કે સૂરજે કીધું હું બીમાર છું રજા ઉપર છું. શું ક્યારેય કોઈ પહાડ એવી માગણી કરી કે મારે આ જગ્યા પરથી બીજે જવું છે ! શું ક્યારેય લીમડા એ એવું કહ્યું કે મારે કડવો નહિ પણ મીઠો બનવું છે ? પ્રકૃતિ ના હરેક તત્વો ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલે છે. અને ઈશ્વરના બતાવેલ રસ્તે ચાલવું.
એક બુંદનું સાગરમાં ભળવું એટલે મોક્ષ.
મોક્ષ પામવા ઈશ્વરમય બનવું પડે. સ્વર્ગ નરક જે કંઈ છે તે અહી જ છે. અંતરથી સુખની અનુભૂતિ એ સ્વર્ગ છે. જ્યારે કોઈ ના માટે સ્વાર્થ વગર કોઈ કામ કરો છો એના હોઠ પર સ્મિત લાવો છો. હૈયે આનંદનો વરસાદ કરો છો ત્યારે જે સુખદ અનુભૂતિનો અહેસાસ એ પરમસુખ છે. ત્યારે તમારું જીવન સાર્થક થયું ગણાય.
મોક્ષ વિશે લખવું એટલે હવાના ચોસલા પાડવા જેટલું મુશ્કેલ છે.
બસ મારી સમજ પ્રમાણે શબ્દોમાં વ્યક્ત કર્યું છે. કોઈ ભૂલ હોય તો માફી ચાહું છું.