વ્યવહાર
વ્યવહાર
માણસ સામાજિક વાતાવરણમાંથી, ઘર-પરિવાર, કુટુંબમાંથી, મિત્રો પાસેથી અને રોજબરોજના થતા અનુભવમાંથી વ્યવહારુ જ્ઞાન મેળવે છે. અને તે પ્રમાણે વ્યવહાર કરે છે. ક્યારેક માણસ પોતે પરિસ્થિતિને અનુરૂપ પોતાના વ્યવહારમાં બદલાવ પણ કરતો હોય છે. ઘણા માણસ પોતે સિદ્ધાંતવાદી હોય છે. પોતાના વ્યવહાર અને નિયમ પાલનમાં ચુસ્ત હોય છે. પરંતુ સામે પરિસ્થિતિ એવી ઉભી થાય ત્યારે તેને આ નિયમોમાં બાંધ -છોડ પણ કરવી પડે છે. અને બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ પોતાના વ્યવહારમાં પરિવર્તન કરવું પડે છે. ઘણી વખત વ્યક્તિ સામેની વ્યક્તિના વર્તનને અનુરૂપ વ્યવહાર કરે છે. અને સામેની વ્યક્તિના વ્યવહાર મુજબ પોતે ઢળી જાય છે. એટલે કે અનુકરણ કરે છે.જેનું એક નાનકડું દ્રષ્ટાંત અહીં પ્રસ્તુત છે.
એક વખતે એક કંપનીમાં ઇન્સ્પેક્શન થવાનું હતું. કંપનીમાં સતત બે દિવસ ઇન્સ્પેક્શન ચાલવાનું હતું. કંપનીના બોસે ઇન્સ્પેક્શન અંગેની તમામ તૈયારીઓ પૂરી કરી દીધી હતી. અને કંપનીના કર્મચારીઓને પણ ઇન્સ્પેક્શન સમયે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવાની સુચના આપી દીધી હતી.
પ્રથમ દિવસે કંપનીના ઇન્સ્પેકશન માટે એક સાહેબ આવે છે ત્યારે કંપનીના બોસ તેમણે હસીને આવકારે છે. કંપનીની ઓફિસમાં પગ મુકતા ઇન્સ્પેકશન કરવા આવેલા સાહેબની નજર કંપનીના બોસ અને અન્ય તમામ કર્મચારીઓના મોંઢા ઉપર પડતા તમામના મોંઢા પર માસ્ક દેખાય છે. એટલે ઇન્સ્પેક્શન કરનાર સાહેબને પોતાનું માસ્ક વિનાનું મોઢું જોઇ શરમ અનુભવતા એ પોતે પણ એમના મોંઢા પર માસ્ક પહેરી લે છે. અને પરિસ્થિતિને અનુરૂપ વ્યવાર કરે છે.
એ જ રીતે બીજા દિવસે બીજા નવા સાહેબ આ જ કંપનીનું ઇન્સ્પેક્શન કરવા આવે છે. પ્રથમ દિવસની જેમ જ કંપનીના બોસ અને બીજા કર્મચારીઓએ માસ્ક પહેરેલું હોય છે. પરંતુ ઇન્સ્પેક્શન કરવા આવેલ નવા સાહેબે મોંઢા પર માસ્ક પહેરેલું હોતું નથી. અને કંપનીના તમામ કર્મચારીઓના મોંઢા ઉપર માસ્ક જોઈને પણ તેમણે માસ્ક પહેર્યુ નહીં. અડધો કલાક સુધી કંપનીના બોસે ઇન્સ્પેક્શન કરવા આવેલ સાહેબનું માસ્ક બાબતે નિરીક્ષણ કર્યા પછી પોતાનું માસ્ક પણ ઉતારી દીધું. થોડીવાર પછી તેમનું અનુકરણ કરી બીજા કર્મચારીઓએ પણ તેમનું માસ્ક ઉતારી દીધું. અને કંપનીના તમામ
કર્મચારીઓએ સાહેબના વર્તનને અનુરૂપ વ્યવહાર કરવાનું ઉચિત માન્યું. આમ, માણસોના વ્યવહારમાં પણ અનુકરણવૃત્તિ જોવા મળે છે.