જીવન ડાયરીનું પાનું
જીવન ડાયરીનું પાનું
હું શબ્દબ્રહ્મનું પ્રતિબિંબ છું, ને બ્રહ્માંડ નાયકનું,
નાનું શુ અણુ છું, કલમથી વાવેતર કરનારું હું બીજ છું...
કોઈપણ સાધનાની શરૂઆત ખૂબ નાનાં એકમથી શરૂ થાય છે, તે જ પ્રમાણે શબ્દ બ્રહ્મની ઉપાસનાની શરૂઆત સ્વાભાવિક છે શાળામાં કક્કો ઘૂંટતા, બારાખડી શીખતાં, વાક્ય રચનામાં પોતાનાં વિચારોને રજૂ કરતાં, ભાષાકીય ભણતર કરતાં, કરતાં આગળ વધે છે.
અમારા એસ.એસ.સી.ના ગુજરાતીનાં વર્ગ શિક્ષક મીનાબેન સાહિત્ય પર વધુ ભાર આપતાં હતાં. કવિ અને લેખકો વિશે ઊંડાણથી ચર્ચા કરી વિષયને રસાળ બનાવતાં હતાં. આને લીધે સાહિત્ય સાથે સઘન સંબંધ બંધાયો. મારા નિબંધો વર્ગમાં વાંચી પ્રોત્સાહન આપતાં તે વધુ પ્રેરણાદાયક બન્યું. પછી તો પંદર સોળ વર્ષની ઉંમરે શાયરીનાં અંકુર ફૂટવા લાગ્યાં. મિત્ર વર્તુળમાં શાયરીને લીધે બોલબાલા વધવા લાગી. કદીક કવિતા કંડારાતી. અમે માધવબાગની બાજુમાં રહેતાં હતાં. જ્યાં શ્રાવણી સત્સંગમાં મારા દાદી સાથે જતી. તેમનાં અવસાન બાદ પણ આ સત્સંગ ચાલુ રહ્યો ને તેમાં મારા જીવનમાં એક મોટો વળાંક આવ્યો.
પૂજ્ય પુનિત મહારાજના ગુરુભાઈ પૂજ્ય મોહન ભગતને આ સત્સંગમાં સાંભળ્યાં. તેમનાં ભજનમાં ઇશ્વર માટેનો તલસાટ, તેમની આંખોની કરુણતા, શબ્દોનાં ભાવોએ તેમની સાથે જોડી. બાળપણમાં મેં પિતા ગુમાવેલા તેથી તેમને બાપુજી કહેતી. તેમની પાછળ ફર્યા કરતી. તેમને મળવાનો તલસાટ રહેતો. પરંતુ પરંતુ 21 વર્ષની ઉંમરે પણ એ મારી બાલિશ વાતો જેવીકે, બિલાડીનાં બચ્ચાંની, મિત્રોની વગેરે કરતી.. પરંતુ કહેવાય છે ને કે સંતો પારસમણિ કરતાં પણ વધુ છે પથ્થર જેવાં હૃદયને પણ સોનું બનાવી શકે છે તેમણે મને દીકરી તરીકે પ્રસ્થાપી, મારા ઋજુ હૃદયને અવિનાશી સાથે ઓળખાણ કરાવી દીધી. મારા સાહિત્યના શોખ ને ભજન તરફ વાળી લીધો. ૧૯૭૫ ની છઠ્ઠી જૂને મારી પ્રથમ પ્રાર્થના રચાઈ જે આજે પણ મારી પ્રાર્થના છે..
પ્રભુ એવી બુદ્ધિ દે,
શુભ કાર્ય સદાય સુજે.
સહુની સેવા કરતાં,
આ જીવનદીપ બુઝે.
હવે તેમણે જે ભક્તિનું બીજ વાવ્યું તે ૨૦૧૮ સુધીમાં ૮૦૦૦થી વધુ ભજનોનું વટવૃક્ષ બન્યું. પરંતુ 2019નું lockdownનું મારા માટે dawn બનીને ઊગ્યું. શબ્દ શણગાર કરીને એ ગ્રુપમાં રોજ શબ્દ આપવામાં આવે તેના પરથી રચના કરવાની આ મારા માટે એક નવો અનુભવ હતો જે મને ખુબ રોમાંચિત કરતો. રોજેરોજનું પરિણામ મળે તેમાં વિજેતા બનવામાં અને ગ્રુપ ગૌરવ વિજેતા બનવામાં કાવ્યની નવી કેડી મળી. ત્યારબાદ આવા અનેક ગ્રુપ મળ્યાં, જેમાં રચનાઓ લખતાં, કાવ્યનાં વિવિધ પાસા, જોડણી શુદ્ધિ અને પ્રકાર શીખવા મળ્યાં અને અનેક વિજેતા કાવ્યો રચાયાં જેને લીધે કાવ્યાનંદ પુસ્તક પ્રકાશિત કરવાની હિંમત આવી. 22-2-22 નાં રોજ ૫૯ કલમનાં કસબીઓની એક સાથે પુસ્તકો પ્રકાશિત થઈ જેમાં મારી 'અનુભવામિ ક્ષણે ક્ષણે' પુસ્તક પણ પ્રકાશિત થઈ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં પ્રસ્થાપિત થઈ. આમ લેખન યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે.