સ્વાતંત્ર્યતા પર્વ
સ્વાતંત્ર્યતા પર્વ
74 માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, એક ભારતીય તરીકે એનું ગૌરવ હોવું જ જોઈએ અને છે પણ.
આપણને મળેલી આ સ્વતંત્રતા માટે કરેલી નાનામાં નાની મહેનત માટે, આપણે એ સૌના આભારી છીએ, એક આખી પેઢીએ એના માટે લોહી રેડયું છે અને ઘણું બધું સહયું છે, જીવની પણ આહુતિ આપનારા આ બધાને શત શત નમન છે.
પણ રહી રહીને મનમાં એક વિચાર આવે છે કે શું આ મળેલી સ્વતંત્રતાને માટે આપણે હકદાર છીએ ?
....શું ખરેખર આપણે સ્વતંત્ર થયા છીએ ?
દર વખતે, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, કારગીલ દિવસ કે કોઈ પણ એવા મહાન દિવસે જ્યારે સોશિયલ મીડિયા પર હું દેશભક્તિનું જે ઘોડાપુર જોઉં છું ત્યારે આવા સવાલો મનમાં ચોક્કસ ઉઠે છે, ને આ લેખ આજે લખીને, હું પણ એ ઘોડાપુરનો જ એક હિસ્સો છું એ હું સ્વીકારું છું.
ખેર...મુદ્દો એ છે કે, કોઈ એક પ્રજાની, વર્ષોના સંઘર્ષ પછી મળેલી આઝાદીને, લોકશાહી ના નામે, આમ વેડફી નાખવાનો, કોઈને પણ હક છે ખરો ?
શું હજી પણ, ભાષા, પહેરવેશ, રહન સહન, અને વિચારોથી પણ, આપણે ખરા અર્થમાં મુક્ત થયા છીએ ? હજી પણ આપણે ઘણી બાબતોમાં વિદેશીઓનું આંધળું અનુકરણ નથી કરતા ? કોઈની સારી બાબતોને, આપણી અનુકૂળતા મુજબ સ્વીકારવી કે જમાના પ્રમાણે બદલાવું એ અલગ બાબત છે, પરંતુ, બીજું કોઈ આમ કરે છે એટલે એનાથી અભિભૂત થઈને કાંઈ કરવું, પછી ભલે એ આપણને કે આપણી સંસ્કૃતિને છાજે એવું ન હોય... એ કેટલે અંશે વ્યાજબી છે ?
મારો વિરોધ, કોઈ પણ વ્યક્તિ, પક્ષ, ધર્મ, જ્ઞાતિ કે વિચારધારા સાથે નથી, પણ જ્યાં સુધી એક આખો સમાજ કે પ્રજા પોતાનું જ હીત વિચારી ન શકે એટલી સમજદાર ન થાય, અથવા તો માત્ર અને માત્ર પોતાનું હીત જ વિચારી બીજાનું શોષણ કરે એટલી અસહિષ્ણુ હોય... તો એને સ્વતંત્ર કેવી રીતે કહી શકાય, મારા હિસાબે તો એ સ્વચ્છંદતા કહેવાય.
લોકશાહીમાં, જો વિરોધ કરવાના અધિકાર હેઠળ, પોતાની જ ચૂંટેલી સરકાર વિરુદ્ધ, સ્વચ્છંદી આચરણ કરવું કે સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવું એ પ્રજાના નાયક બનવાનું કામ હોય તો, આ દેશ લોકશાહીને બદલે સરમુખત્યાર શાહીને જ યોગ્ય છે.
આજે, સ્વતંત્રતા મળ્યાના 74 માં વર્ષે આપણા ધાર્મિક, સામાજીક અને રાજકીય પૂર્વગ્રહોમાંથી બહાર આવી ખરા અર્થમાં 'સ્વાતંત્ર્ય પર્વ' ઉજવીએ તો કેવું?