વિવાહ
વિવાહ
શ્રીકાંત સેજપાલની ગણના શહેરના નામાંકિત બિઝનેસમેનમાં થતી હતી. એક્સપોર્ટ ઈમ્પોર્ટનો બિઝનેસ અને આશરે પાંચસો કરોડના અસામી.
એક અઠવાડિયા પછી શ્રીકાંત શેઠની લાડકી દીકરી વૈભવીના લગ્ન હતા. ઘરે બહારગામથી મહેમાન અને કુટુંબીજનો પણ આવી ગયેલ. શેઠ ઓફિસે જવા તૈયાર થઈ ગયા, પણ તેનો ડ્રાઈવર ધનો હજુ નહોતો આવ્યો, ફોન પણ નહોતો ઉપાડતો.
શેઠને ચારથી વધારે ડ્રાઈવર હતા, ઘરે પ્રસંગ હોવાથી બીજા વધારે ડ્રાઈવર પર પ્રસંગ માટે રાખી દીધેલ. હવે શેઠ અકળાઈ ગયા. ત્યાં જ બીજો ડ્રાઈવર સુરેશ દોડતો દોડતો આવ્યો.
" શેઠ.. શેઠ.. ધનાએ એના પરિવાર સાથે ઝેર પીધું."
શ્રીકાંત શેઠ નવાઈ સાથે, " સુરીયા.. શું કહે છે ? પણ..થયું શું ? "
સુરેશ: " શેઠ, ધનાની બે દીકરીઓ પરણાવવા જેવડી છે, બસ એના વિવાહની ચિંતામાં.... સમયસર ખબર પડતા બધા બચી ગયા, અત્યારે દવાખાને છે."
શ્રીકાંત :" જલ્દી... ધનો જે હોસ્પિટલ હોય, ત્યાં ગાડી લઈ લે. "
હોસ્પિટલમાં ડ્રાઈવર ભાનમાં આવતા જ, " શેઠ.. અમને બધાને કેમ બચાવ્યા ? મારું નામ ધનપાલ મારી દીકરીનું નામ લક્ષ્મી, પણ સાહેબ આ દીકરીઓનો કરિયાવર... "
ધનો ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. શ્રીકાંત આખરે એક બાપ હતો. ધનાને આશ્વાસન આપીને પોતે ઘરે આવે છે.
દીકરીના લગ્ન પછી ઓફિસે અને ઘરે બંને જગ્યાએ પોતાના કર્મચારીઓની દીકરીઓના ભણતરનો ખર્ચ અને સમૂહલગ્નનો ખર્ચ પોતે આપશે,અને કરિયાવર પણ દીકરીઓને આપશે તેવી જાહેરાત કરી દીધી. દીકરી એ સાપનો ભારો નહિ, પણ તુલસીક્યારો છે.
શ્રીકાંત શેઠે અનેક પિતાઓને દીકરીઓના વિવાહની ચિંતામાંથી મુક્ત કરી દીધા.