રંગ ચઢે અંગે
રંગ ચઢે અંગે
"મેઘ, નાનપણમાં તેં મને કેટલી ખોટી વાત કરી હતી ? મને તો હજી પણ એ દિવસ યાદ છે કે ધૂળેટીના દિવસે હું વાંચતી હતી કારણ બીજા દિવસે મારે પરીક્ષા હતી તો પણ તું મને રંગવા આવ્યો હતો."
"કિન્નરી, તારે એ પણ યાદ રાખવું જોઈએ કે હું તો તારો પ્રિય રંગ ગુલાબી લઈને આવેલો. "
"ગુલાબી રંગ તો સ્નેહ, માયા અને બાલિશતાનું પ્રતિક છે. મને ખબર છે કે તું તારા ચોટલામાં પણ ગુલાબી ગુલાબ લગાવે છે. "
"હા મેઘ, પણ તું યાદ કર એ વખતે તું એવું બોલેલો કે આ તો કાચો રંગ છે. એ કાચા રંગની અનુભૂતિ વારંવાર કહે છે કે આનાથી પાક્કો રંગ દુનિયામાં બન્યો જ નથી. મને તો હજી પણ ખબર પડતી નથી એ બાલિશતા વ્યક્ત કરતા રંગમાં ક્યુ કેમિકલ વપરાયુ હતું કે આટલા વર્ષોમાં એ રંગ ઝાંખો નથી પડ્યો. એમાં તેં સ્નેહ અને માયાનું જ કેમિકલ ઉમેર્યું હશે. તેં લાગણીથી લગાવેલા રંગના લિસોટા તો મારા દિલ સુધી પહોંચી ગયા હતા. તું કહેતો હતો કે રંગ કાચો છે એ રંગ તો જન્મોજન્મની છાપ છોડતો ગયો. "
"કિન્નરી, સાચુ કહું તો હું સમજણો થયો ત્યારથી તારા ગુલાબી હોઠ પાછળ પાગલ છું. હા, આવતા મહિને લગ્ન બાદ આપણે જયપુર જઈશું. કારણ કે જયપુરને "પીંકસીટી" કહેવામાં આવે છે. ઠંડીની શરૂઆત થાય ત્યારે બધાના મોં એ એક જ શબ્દ હોય છે "ફૂલ ગલાબી ઠંડી"ચાલુ થઈ ગઈ. એથી પણ આગળ કહું તો ગુલાબી ગુલાબમાંથી બનતું શરબત હોય, ગુલાબજળ હોય કે ગુલકંદ એ ઠંડક આપવાનું જ કામ કરે છે. આટલો આકર્ષક રંગ કોને ના ગમે કે જે રંગ માયા મમતાનું પ્રતિક હોય !