ભૂતકાળનું પુનરાવર્તન
ભૂતકાળનું પુનરાવર્તન
રાધા સાથે જિંદગીની નારાજગી સમજાતી જ ન હતી. રોજ એક પછી એક તકલીફ અટકતી જ ન હતી. જન્મતાની સાથે મમતા ગુમાવી. નવી મા રોજ મ્હેણાં ટોણાં મારે, જમવા આપવામાં કચકચ, રોજની વાતથી હવે એનાં પિતા પણ પરિવારથી કંટાળેલા. પિતા હોવા છતાં નહીં બરાબર અને એ પણ રાધા પંદર વર્ષની થતાં સ્વર્ગે સીધાવ્યાં.
સુંદર દેખાવને લીધે સાવકી બેન પણ રાધાથી ઈર્ષામાં નારાજ રહેતી. સમયનું ચક્ર ફરતું રહ્યું. સાવકી મા એ 22 વર્ષની રાધાના લગ્ન 40 વર્ષીય બીજ વર રઘુ સાથે કરી નાખ્યાં બદલામાં અઢી લાખ રુપિયા લીધેલાં એટલે ડગલેને પગલે રઘુ રાધાનું અપમાન કરતો. પત્ની નહીં પણ કોઈ નિર્જીવ રમકડું હોય એવું વર્તન રઘુનું રહેતું. મન ફાવે ત્યારે મન ફાવે તેમ રમીને ઘરના કોઈ ખૂણે ફેંકી દેતો. રાધાની કુખે રાધા જેવી જ સુંદર દીકરી જન્મી. એ જ એના જીવનનો આધાર. દીકરીનો ચહેરો જોઈ સઘળુ દુઃખ ભૂલી જાય.
રાધાની દીકરી પૂનમ જોતજોતામાં વીસ વર્ષની થઈ ગઈ. એ જ ગામના સુંદર અને સુશીલ યુવાનને પૂનમ ગમતી. રઘુને પોતાનો અહમ આ વાત સ્વીકારવા રજા આપતો નહીં. એક દિવસ ફરી ભૂતકાળનું પુનરાવર્તન થવા જઈ રહ્યું. રઘુએ પોતાના મિત્રના આવારા દીકરા સાથે પૂનમના લગ્ન નક્કી કર્યા. હવે મા થી હારવું પોષાય એમ ન હતું.
બીજા દિવસે જિંદગીની નારાજગીથી કંટાળી દીકરી પૂનમ અને ગામ લોકો માટે ચિઠ્ઠી લખી, રાધાએ પતિ પત્ની માટે ઝેર ભેળવેલી ચા બનાવી અને એ અંતિમ ચાએ રાધાના ચહેરા પર દીકરી સુરક્ષાના સંતોષ સભર સ્મિત સાથે વિદાય આપી.