જ્ઞાનાગ્નિ
જ્ઞાનાગ્નિ
જીવનમાં નવા ઉત્સાહનો સંચાર તહેવારોના કારણે જ થાય છે. રૂષિતા તો આખો વખત ઘર અને નોકરીની વચ્ચે પીસાતી જ રહેતી હતી. ક્યારેક એનો પતિ પ્રભાત કહેતો,"આજે તો આપણે સવારથી સાંજ પિકનીક પર જઈએ. ત્યારે રૂષિતા કહેતી,"માંડ એક રવિવારની રજા મળે છે એમાં પણ અઠવાડિયાની ખરીદીનું લિસ્ટ તૈયાર જ હોય. છોકરાંઓની પરીક્ષા નજીક આવી રહી છે એમને ભણાવવાનું કામ."
જો કે નોકરી કરતી દરેક સ્ત્રીના જીવનની આ ઘટમાળ રહેતી. પરંતુ જ્યારે નવરાત્રી આવે અને માતાજીની ઉપાસનાના દિવસો આવે ત્યારે રૂષિતા દસ દિવસની રજા લઈ લેતી. કહેતી,"આ દિવસોમાં માતાજીની ઉપાસના તથા રાત્રીના સમયમાં ગરબા રાસ રમવાથી શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે.
દરરોજની ભાગદોડભરી જિંદગીમાં એ પોતે પણ ભૂલી ગઈ હતી કે એ ફાઈનઆર્ટસની ગોલ્ડમેડાલિસ્ટ વિદ્યાર્થિની છે. આ વખતે એણે નક્કી કરેલું કે મારે મારી જાતે જ કંઈક બનાવીને લ્હાણી કરવી. એ વિચારથી જ એ ખુશ થઈ ગઈ. પ્રભાતને પણ પોતાની ઈચ્છા કહી સંભળાવી.
આખરે રૂષિતાએ નિર્ણય લીધો કે જ્ઞાનના પ્રતિક રૂપે નારંગી રંગ જ રાખવો. નારંગી રંગને જ્ઞાનાગ્નિનું પ્રતીક ગણવામાં આવે છે.
ત્યારબાદ તો રૂષિતા બજારમાંથી માટીના દીવડાં લઈ આવી. નારંગી રંગ તથા ઝીણાં ઝીણાં આભલાંની ખરીદી કરી. બસ, ત્યારબાદ બધા દીવડાઓને નારંગી રંગથી રંગી એમાં આભલા ચોંટાડી દીધા. એટલું જ નહીં એમાં દિવેટો મૂકી.
તે દિવસે એણે નારંગી રંગના ચણિયાચોળી પહેર્યા હતા તથા આબોલીના ફૂલોનો ગજરો બનાવી વાળનો ચોટલો શણગાર્યો હતો. માતાજી માટે પણ આબોલીના ફુલનો હાર બનાવેલો. કારણ આબોલીના નારંગી રંગના ફૂલો જલદી ચીમળાતાં નથી.
દીવડાંની શોભાએ દરેકનું મન મોહી લીધું હતું. એ દિવસે રૂષિતાએ કહ્યું,"આજે પાણીના જગ મૂકવાને બદલે નારંગીનો રસ દરેક જણાંને આપવો."
એ રાત્રે ગરબાની રમઝટ બરાબર જામી. નારંગીના રસને કારણે થાક જાણે દૂર ભાગી ગયો હતો. વાતાવરણ નારંગી રંગમય બની ગયું હતું.