નથી જવું
નથી જવું
પર્ણિકાની આંખમાં આંસુ હતાં. મનમાં તો થતું હતું કે આ કાગળ ફાડીને ફેંકી દે. પણ બીજી જ પળે એની નજર સમક્ષ નાના બે ભાઈઓ તથા ઘોડિયામાં સૂઈ રહેલી નાનીબહેન તથા લાચાર મા દેખાવા લાગ્યા. પપ્પાના અચાનક અવસાનને કારણે બચત તો વપરાઈ ગઈ હતી. હવે બધી જવાબદારી એના માથે જ હતી. તેથી તો એની પાસે આ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં નોકરી સ્વીકાર્યા સિવાય છૂટકો જ ન હતો. પરંતુ એનું મન એને વારંવાર કહેતું કે મારે નથી જવું.
આખરે એની બહેનપણીએ કહ્યું,"મેં એક પરિચિત મારફતે તારી રહેવાની વ્યવસ્થા કરી છે. જે વાતનો સ્વીકાર કરવાનો હોય એ વાતનો હસીને સ્વીકાર કરવો. દુઃખી થવાથી કંઈ વાસ્તવિકતા બદલાતી નથી એને નિયતી સમજી ખુશીથી જવું"
જયારે એ આદિવાસી વિસ્તારમાં પહોંચી અને ઘરનું તાળુ ખોલવા ગઈ. (જો કે એને તો ઘરને બદલે ઝૂંપડી કહેવું વધુ યોગ્ય કહેવાય)ત્યાં જ ઉંબરા પાસે એને ઊભી રાખી કહ્યું,"હમણાં અંદર ના જતાં. પર્ણિકા ગભરાઈ ગઈ પણ બીજી જ પળે હાથમાં કથરોટ લઈને એક સ્ત્રી આવી સાથે એનો પતિ પણ હાથમાં લોટો લઈને આવ્યો. પર્ણિકાને કહ્યું,"તમે કથરોટમાં પગ મૂકો અને એના પતિએ પગ પર પાણી નાંખ્યું. ત્યાર બાદ એના જમણાં પગના અંગૂઠે કુમકુમ તિલક કર્યો. અને કહ્યું,"બેન,અમારે ત્યાં અતિથીને અમે ભગવાનનું સ્વરૂપ ગણીએ છીએ. "
આમ તો એને ત્યાંની હોસ્ટેલમાં જ જમવાની વ્યવસ્થા હતી પરંતુ એ દિવસે તો આજુબાજુથી વારાફરતી જમવા માટેનું આમંત્રણ આવવા માંડ્યું. સાંજે તો એમને ત્યાં મકાઈનો રોટલો અને ડુંગળી તથા લસણ મરચાંની ચટણી હાજર થઈ ગઈ. જો કે માટીની કલાડીમાં બનાવેલ રોટલો તો આમ જ એકલો ખવાય એવો હતો. બીજા દિવસે ચૂલા પર બનાવેલી ખીચડીનો સ્વાદ અદભૂત
હતો. તો થોડાદિવસ પછી રસ્તા પર ઉગેલી જાતજાતની ભાજી તોડી તેલ વગર બનાવેલ હોય તો પણ ખૂબ જ મીઠાશ હોય.
દિવસ તો નોકરીને કારણે પસાર થઈ જતો. પર્ણિકાને ઘરની યાદ આવતી. રાત્રે તો બધા વહેલા સૂઈ જાય. સવારે રોટલા બનાવી ખેતરે જતા રહે.
થોડા સમય બાદ હોળીનો તહેવાર આવતો હોવાથી બધા ઘરે જ રહેતાં અને આનંદથી ગીતો ગાતા. પર્ણિકા સાંજે ઘેર આવી ત્યારે એના ઘરની બહારની દિવાલો સુંદર ચિત્રોથી સજાવી દીધેલ. એ દિવાલો બાજુ જોઈ જ રહી. ત્યાં જ પડોશીઓએ ભેગા થઈને કહ્યું,
"તમારૂ ઘર ચિત્રો વગરનું હતું. આ પિઠોરીદેવ છે અમારા. અમે એમના ચિત્રો બનાવીએ છીએ. તમને ગમ્યું ને ?
પર્ણિકા તો આટલા સુંદર ચિત્રો જોઈને જ ખુશ થઈ ગઈ હતી. હોળીની તૈયારી ધામધૂમથી ચાલતી હતી. `ઘેર´નો મેળો ભરાતો હતો. ખાસ કરીને યુવાવર્ગ ખૂબ ખુશ હતો. એ મેળામાં જ યુવાવર્ગ પોતાના જીવનસાથીને ખોળી લેતાં.
જો કે ત્યાં સ્ત્રીઓને પૂરતી સ્વતંત્રતા મળતી જોઈ પર્ણિકાને થતું દરેક સમાજમાં આવું હોય તો કેવું સારૂ ! ત્યાં સ્ત્રીઓને છૂટાછેડા લેવાનો હકક હોય છે. જોકે એ પત્ની એ એના પહેલાં પતિને નુકશાની ચૂકવવી પડે છે. ત્યાં ગામડું હોવા છતાં પણ ઘૂંઘટનો રિવાજ જોવા મળતો ન હતો. પતિ પોતાની પત્નીને ખૂબ પ્રેમથી રાખતો એ જોઈ પર્ણિકાને આનંદ થતો. લોકો પણ ખૂબ પ્રેમાળ. પત્ની ગર્ભવતી હોય એ દરમ્યાન એનો પતિ ન તો શિકાર કરતો કે ન તો અંતિમ સંસ્કારમાં જતો.
બીજી એકવાત પર્ણિકાને સ્પર્શી ગઈ એ વાત એ હતી કે ત્યાં કોઈ દુઃખી કે એકલુ ન હતું. એકલો વૃધ્ધ હોય તો ગામ લોકો જ એની સંભાળ રાખતાં. બાળક અનાથ થાય તો પણ ગામલોકો બાળકને સહારો આપતાં. પરિણામ સ્વરૂપ ત્યાં ન તો વૃધ્ધાશ્રમ હતા કે ન તો કોઈ ભિખારી.
એક સવારે પડોશમાં ભીડ જોઈ પર્ણિકાએ પૂછી લીધું કે ,"આજે શું છે ?"તો એને જવાબ મળ્યો કે ,"આજે ચાંદલાવિધિ છે. "એને આશ્ચર્ય થતું હતું કે એમને ત્યાં તો કોઈ બાળક નથી તો ચાંદલા વિધિ શેની ?
બધા હસી પડ્યા. બોલ્યા,"આ બાજુવાળા અર્જુનને કૂવો ખોદવો છે. પૈસાની જરૂર છે. જેને પૈસાની જરૂર હોય એ ચાંદલા વિધિ રાખે. બધા હજારો રૂપિયા આપે અને પ્રસંગ પતે. "
પર્ણિકા વિચારતી હતી કે જ્યાં પ્રેમ હોય, અરસપરસ મદદ કરવાની ભાવના હોય ત્યાં દુઃખ ક્યાંથી સ્પર્શી શકે ! કોણ કહે કે સુખ પૈસાથી જ મળે ! એ રાત્રે પર્ણિકાએ મનોમન નક્કી કર્યું કે એ આવા પ્રેમાળ માણસો વચ્ચે જ રહેશે.
પરંતુ મનુષ્યનું ધાર્યું ક્યા કંઈ થાય છે ! બીજા જ દિવસે એની મમ્મીનો મેસેજ આવ્યો કે તને આ શહેરમાં જ નોકરી મળી ગઈ છે.
કાગળ આવી ગયો છે.
આ વખતે પણ પર્ણિકા બોલી ઊઠી,"મારે નથી જવું. "