ઝરૂખો
ઝરૂખો
ઉદયગઢનાં રાજકુવરી સામતેરનાં રાજકુંવર સાથે વિવાહ કરીને સામતેરગઢમાં પ્રવેશ કરે છે. રાજકુવરીનાં પગલાં પડતા જ સામતેરનો વિજય થવા લાગે છે. રાણીના આવ્યાં પછીના પ્રથમ યુદ્ધવિજયની યાદમાં રાજા એક આલીશાન મહેલ બનાવે છે. અને એમાં એક રાણીને ગમતો માણેક મોતીથી મઢેલો ઝરૂખો બનાવડાવે છે.
જીવન સુખ અને ખુશીઓની પળોમાં પસાર થઈ રહ્યું છે. રાજા અને રાણી સંધ્યાટાણે રોજ આ ઝરૂખે બેસી ભાવિ જીવનનાં મધુર સપનાં સજાવે છે. કુદરતે પણ વૈભવ અને સંતોષ ખુલ્લા હાથે આ ઝરૂખામાં વેર્યા હોય એવું એમને લાગે છે. ઝરૂખો જાણે રાજા રાણીનાં પ્રેમનું પ્રતીક બની ગયો હતો.
આટલી ખુશીઓમાં કુદરતે એક વધારે ખુશી એમની ઝોળીમાં ભરી સામતેરની રાજગાદીને વારસ મળવાનો હતો.
નવ માસના અંતે ખુશ ખબર મળે છે કે રાજકુંવરનો જન્મ થયો. આખો મહેલ દીવડાથી સજવવવામાં આવ્યો. જાતજાતનાં પકવાનો થયા. રાજાએ ખુલ્લા હાથે દાન આપવાનું શરૂ કર્યું, રાજ મહેલના ભંડારો ખોલવામાં આવ્યા અને દૂર દેશથી બ્રાહ્મણોને નામકરણની વિધિ તથા કુંવરની જન્મકુંડળી માટે બોલાવવામાં આવ્યાં.
મહેલનાં પ્રાગણમાં કુવરનું ઘોડિયું સજાવવામાં આવ્યું. રાજા રાણી ઘોડિયાની બાજુમાં સિહાસન પર બીરાજમાન હતા. બ્રાહ્મણજીએ કુંવરની કુંડળી જોવાની ચાલું કર્યુ. અને બસ કુવરનું નામ બોલવા જાય છે. ત્યાં જ અચાનક ધરતી હલવા લાગે છે. બધા નગરજનો આમ તેમ દોડવા લાગે છે. બધા બૂમાબૂમ કરે છે. કુદરત કોપ્યો, કુદરત કોપ્યો, ભાગો, ભાગો, બચાવો, બચાવો, "ધરતીકંપ આવ્યો", બધા આમતેમ ભાગે છે. અચાનક ધરતી વધારે હલે છે અને મહેલનો ઝરૂખો તૂટી પડે છે. જે ઝરૂખા ઉપર બેસી રાજા રાણીએ ભાવિ સપનાં સજાવ્યા હતા. જે ઝરૂખે બેસી કુંવરને મોટા કરવાની વાતો કરી હતી, જે ઝરૂખો એમના પ્રેમ અસ્તિત્વની એકમાત્ર કડી હતી. એ જ ઝરૂખા નીચે એમનાં સંપૂર્ણ અરમાનોનો અંત એક ઝાટકે આવી ગયો.